રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી

વિકિસૂક્તિમાંથી
રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી
નરસિંહ મહેતા


રાત રહે જાહરે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું … રાત

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાં
ફરી નવ અવતરે નર ને નારી … રાત