વા વાયા ને વાદળ ઉમટ્યા

વિકિસૂક્તિમાંથી
વા વાયા ને વાદળ ઉમટ્યા
નરસિંહ મહેતા


વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ ... મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ... મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.