સમજણ વિના રે સુખ નહીં જંતને રે

વિકિસૂક્તિમાંથી

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખાય?
આપમાં વસે છે આપનો અત્મા રે,
તેણે કાંઈ જીવપણુઇં નવ જાય. --સમજણ


રવિ રવિ કરતાં રજની નહીં મટે રે,
અંધારું તો ઈગ્યાં પૂંઠે જાય;
રુદે કવિ ઉગે રે નિજ ગુરુજ્ઞાનનો રે
થનાર હોય તે સહેજે થાય. --સમજણ


જળજળ કરતાં તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતાં તૃષ્ણા તુરંત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ. --સમજણ


પારસ મણિ વિનારે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવ પણું નવ જાય. --સમજણ


દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,
એને લઈ રૂ માં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાજતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય. --સમજણ


જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણી રહિત છે રે વિચાર,
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. --સમજણ