અખેગીતા/કડવું ૪૦મું-આ ગીતાનું ફળ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૯મું-સદ્ગુરુનું માહાત્મ્ય અખેગીતા
કડવું ૪૦મું-આ ગીતાનું ફળ
અખો


રાગ ધન્યાશ્રી

એ અખેગીતા જે નર ગાયજી, અણઆયાસે[૧] તે નરહરિ થાય઼જી;
સાંભળતાં મહાગહેન પલાયજી, એવો ગ્રંથનો છે મહિમાયજી. ૧


પૂર્વછાયા.


ગ્રંથનો મહિમાય મોટો, સાંભળતાં તે સદ્ય[૨] ફળે;
મનસા વાચા કર્મણાએ, જે સુરત્ય દઈને સાંભળે. ૧

રામતારક મંત્ર જે, તે અખેગીતાનો ભાવ;
જન્મ છેહલો હોય જેહને, તેહને મળે પ્રસ્તાવ[૩]. ૨

સંસારરૂપી મોહનિશાને[૪], નિવૃત્તાવા[૫] કાજ;
દિનમણિ છે અખેગીતા, પામે સદા સદોદિત રાજ. ૩

એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયાનિરિક્ષણ દૃષ્ટિ;
જીવન્મુક્ત ને મહામુક્તના, ચેહેન[૬] ને વળી પુષ્ટિ. ૪

પદ દશ ને ચાલીસ કડવાં, છે પરમપદની વાટ;
સંસારસાગર ઉપરે, એ સેતુ[૭] બાંધ્યો ઘાટ. ૫

એણે ઘાટે જે આવી ચડશે, તે સુખે પામશે પાર;
ન બુડે તે બિરદ બાંધી, કહે અખો નિરધાર. ૬

બારે ઉણાં પાંચસે છે, અખેગીતાનાં ચરણ;
ચરણે ચરણે આત્મવિદ્યા, અશરણ કેરૂં શરણ. ૭

નાથનિરંજન ગ્રંથકરતા, અખો તે નિમિત્તમાત્ર;
જેમ વાજું દિસે વાજતું, પણ વગાડે ગુણપાત્ર. ૮

જે પૂરણબ્રહ્મ પૂરી રહ્યો છે, ઘટઘટ બોલણહાર;
તેણે આપે આપનું વરણન કીધું, સ્વસ્વરૂપ નિરધાર. ૯

સવંત સતર પંચલોતરો[૮], શુક્લપક્ષ ચૈત્રમાસ;
સોમવાર રામનવમી, પૂરણ ગ્રંથપ્રકાશ. ૧૦

કહે અખો નિરંજનગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને;
અખાને શિર નિમિત્ત દેવું, ઈચ્છા હુતી અનંતને. ૧૧

  1. વિનાપ્રયત્ને.
  2. તુરત.
  3. સાંભળવાનો પ્રસંગ.
  4. અજ્ઞાનરૂપી રાત્રિને.
  5. દૂર કરવા.
  6. લક્ષણ.
  7. પાજ.
  8. પંચોતેર.

(પૂર્ણ)

અખાના છપ્પા