અખેગીતા/કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ અખેગીતા
કડવુ ૯ મું - વૈરાગ્યાર્તિ તીવ્રતાનું રૂપ
અખો
કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું માહાત્મ્ય →


રાગ ધન્યાશ્રી

નરને ઉપજે દૃઢ વૈરાગજી, આરત[૧] કેરી મનવિષે આગજી[૨];
તેહેના ટળે દ્વેષ ને રાગજી, નહી આતુરતા કહેવા લાગજી. ૧

પૂર્વછાયા

આતુરતા મન અતિઘણી, જેમ મીન વિછડ્યું નીરથી,
અજ્ઞાન શિંચાણો[૩] લેઇ ચઢ્યો, તેણે દૂર નાખ્યું તીરથી. ૧

તડફડે તલપે અતિઘણૂં, વિરહ-સૂરજ શિર તપે;
સંસારરુપી ભૂમિ તાતી[૪], નીર નીર અહોનિશ જપે. ૨

કાલશિંચાણો શિર ભમે, તે તેહની દૃષ્ટેં પડે;
નીર-વોહોણૂં વપુ દાઝે,ઝાળ લાગે ને તડઅડે. ૩

નયણેં તે નીર દેખે નહીં, કળકળે કાળજ[૫] બળે;
પેટ પૂંઠે પાસુ[૬] વાળે, જેમ પડે તેમ દાઝે જળેં. ૪

કામધેનુના પયવિષે[૭], જો કોઇ મૂકે તેહનેં;
તોયે આપદા નટલી મકરનેં[૮], વારી વહાલું જેહને. ૫

વૈરાગ ઘણ[૯] ઉપરનો શરીરે, તેણે કાલજ કોર્યું માંહેથી,
વ્રેહેતણો તાપ તપે તનમાં, તે નર જીવે ક્યાંહેથી ૬

નાનાવિધનાં ભક્ષ ભોજન, તેને દીઠાં નવ ગમે;
સંસારરૂપી ભૂખ ભાગી; ઉભા તાતાં તન ભમે. ૭

નિર્વેદ[૧૦] ઉપનો નરવિષે, તે જીવપણે જીવે નહીં;
તે મરી જીવે મનવડે, જેમ કીટ ભમરી હોયે સહી. ૮

જેમ ઉધઇ ખાતે કષ્ઠને, તેનું કૃષ્ણાગર[૧૧] થૈ પરવરે;
તેમ વિરહ વૈરાગ્ય જેહનેં ભખે, તે નર હરિ થાએ સરે. ૯

કહે અખો સહુકો સુણો, નિર્વેદ ટાળે જંતને;
જે નરને ઉપજે ચેતના[૧૨], તે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

નોંધ[ફેરફાર કરો]

  1. પરમાત્માની શીઘ્ર પ્રાપ્તિની ઇચ્છા
  2. અગ્નિ
  3. સકરો
  4. તપેલી
  5. કાળજું
  6. પડખું
  7. દૂધમાં
  8. માછલાને
  9. લાકડામાં થનારો કીડો.
  10. વૈરાગ્ય
  11. કાળો અગર
  12. સમજ