નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

વિકિસૂક્તિમાંથી
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
નરસિંહ મહેતા


નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

તે જ હું તે જ હું શબ્દ બોલે

શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ

અહીંયા કો નથી કૃષ્ણ તોલે


શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી

અનંત ઓચ્છવમાં પંથ ભૂલી

જડ ને ચૈતન્ય રસ કરી જાણવો

પકડી પ્રેમે સજીવન મૂળી


ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં

હેમની કોર જ્યાં નીસરે તોલે

સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે

સોનાના પારણા માંહી ઝૂલે


બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી

અચળ ઝળકે સદા અનળ દીવો

નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો

વણજિહ્વાએ રસ સરસ પીવો


અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો

અરધ-ઊરધની માંહે મહાલે

નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો

પ્રેમના તંતમાં સંત ઝાલે



નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)