અખેગીતા/કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ અખેગીતા
કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ
અખો
કડવું ૨૯ મું - ષટ્‍શાસ્ત્ર, ષટ્‍ઉપશાસ્ત્ર અને ષટ્‍દર્શનનું વર્ણન →


રાગ ધન્યાશ્રી

વળી વિદેહીતણાં કહું ચિન્હજી, જ્યાં નવ પોંહોચેવાણી મનજી;

જેને વિષે ન મળે રયણી, દિનજી, જે વેત્તા તે તન્ મય તનજી. ૧
પૂર્વછાયા

તનમય તન તે માટ એણે, તે કહું દૃષ્ટાંતે કરી;
જેમ ભાસકર ભાસ્યો તોય-ભાંડે, પણ ત્યાંનો ત્યાં જોતે ફરી ૧

તે વારિમાંહેથી વાયુ-યોહે, ડોલતો દીસે ઘણું;
પણ તરણિ તેમનો તેમ પ્રાયે, અચલ મંડળ આપણું. ૨

તે તપ્ત જળમાંહે તપ્ત ન હોએ, શીતળ ન હોએ શીતથી;
રક્ત જળમાં ન હોએ રાતો, પીળો ન હોએ પીતથી. ૩

તે અશુચિ૧૦ જળમાં ભાસ્યો માટે, અશુધ્ધતા પામે નહી;
વારિવિષધરમાંહે૧૧ દીઠો, અંતરમાં આમે૧૨ નહીં. ૪

સુરસરીકેરા૧૩ નીરમાંહે, પવિત્ર ન હોએ દિનમણિ૧૪;
સુધારસમાં૧૫ ભાસ્યો માટે, અમર ન થાય અહર્ધણી.૧૬

પાત્રમાંહે હેઠો દીઠે, પાતાલમાંહે નથી પડ્યો;
અણલિંગી પદ એમ જાણે, વ્યતિરેક કારણ પરવ્ડ્યો. ૬

અર્ક ત્યાં ઉપાધ્ય૧૭ ન મળે, ઉત્તમ અધમ અવનીતણી૧૮;
મહાપદનું૧૯ મહાતમ૨૦ એહવું, જ્યાંપક્ષનમળેઅન્યઆપણી

વિશેષણ જેટાલાં કહ્યાં, તે રહ્યાં ભૂનાં૨૧ ભૂવિષે;
વ્યતિરેક નાવે વાણ્યમાંહે,૨૨ અન્વયપદમાં એ લખે. ૮

અતિ આઘો લક્ષવિપુના,૨૩ સમજ્યા સરખું સાર છે;
વિદેહકેરી વાત મોટી, શબ્દકેરે તે પાર છે. ૯

કહે અખો સહુકો સુણો, એ સમજ છે મહંતને;

એ અર્થને જે સમજે, તે રહે પાર વેદાન્તને. ૧૦

________________________________________

૧ રાત્રિ. ૨ સૂર્ય. ૩ પાણીના વાસણમાં. ૪ જોતાં. ૫ જળમાંથી. ૬ સૂર્ય. ૭ બહુધા.૮ તપેલા. ૯ રાતા. ૧૦ અપવિત્ર. ૧૧ સર્પનાઝેરમાં ૧૨ દોષ. ૧૩ ગંગાજીના. ૧૪ સૂર્ય. ૧૫ અમૃતના રસમાં. ૧૬ સૂર્ય. ૧૭ ઉપાધિ. ૧૮ પૃથ્વીની. ૧૯ બ્રહ્મનું. ૨૦ મોટાઈ. ૨૧ પ્રુથિવિનાં. ૨૨ વાણીમાં ૨૩ શરીર વિના.


(પૂર્ણ)