અખેગીતા/કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૫ મું - જીવ ઉપર માયાનો દગો અખેગીતા
કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન
અખો
કડવું ૭ મું - માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ →


રાગ ધન્યાશ્રી

એમ માયા વેષ નાના ધરેજી, કર્મ ધર્મના શબ્દ નાના ઓચરેજી;
જીવકેરા મનને અતિઘણું આવરે, તેણે પુરંજન[૧] ભવફેરા ફરેજી.

પૂર્વછાયા

ફ્‍રે ફેરા બહ ભવવિષે, વિષયનો તાણ્યો વહે;
પ્રત્યક્ષ ભોગ દેખે ભલા, વળી પંડિતને પોષતો રહે; ૧

કર્મનાં ફલ લખે માયા, વળી માયા બેઠી તે કથે;
શબ્દકેરે બાંધણે ભાઇ, બાંધી જીવ રાખે જથે. ૨

અંતરમાંથી મનરૂપેં, સકલ્પ-વિકલ્પ સુત[૨] જણે;
નિમેષમાંહે નવા નવા, જ્યમ ઇંદ્રજાળ-ગુટિકા ગણે. ૩

કર્મ-ફલ ને જીવ-કેરો, જોગ માયા મેળાવે;
વિષય-તૃષ્ણામાંહે મૂકી, એમ જંતુને ભેળવે. ૪

સ્વર્ગ-ભોગ દેખાડે, વળી બીક દેખાડે નર્કમી;
તે કામનાઓ લાગ્યો ફરે, ભાઇ ગતિ જેવી કૂપચક્રની[૩]. ૫

કામ ધામ ને ધન દારા, માત પિતા સુત બાંધવા;
વર્ણ વેષ ને રૂપ મુદ્રા, નમણ ઠમણ દેવ વંદવા. ૬

ચાક્ય ચાતુરી ચૌદ વિદ્યા, અવિદ્યા સર્વ સાધના[૪];
પંડિત કવિને ગુણિ જાણ દાતા, સર્વ માયાકેરિ આરાધના. ૭

રમે રમાડે આપ માયા, નીચો ઊંચો લઇ ચડે;
જેમ મર્કટ હીંડે માગતો, પેલા ભિક્ષુક કેડે રડવડેં, ૮

એમ ભમે બહુ ભવ વિષે, પણ ભેદ કોયે લહે નહીં;
દોરિ સંચારો માંહિ માયાતણો, ભૂલવણ મોટી એ સહી. ૯

કહે અખો સહુકો સુણો, તમે જુઓ અંતરના તંતને[૫];
એ જાળમાંહેથી તોજ નીસરો, જો સેવો હરિ-ગુરુસંતને. ૧૦

નોંધ[ફેરફાર કરો]

  1. જીવ
  2. પુત્ર
  3. રેંટની
  4. એ સર્વ અજ્ઞાતની ઉપાસના છે.
  5. તત્‍ત્વને